આજનો દિવસ 16 - માર્ચ
કવિ ન્હાનાલાલનો જન્મ દિવસ
(જન્મ : 16 માર્ચ, ૧૮૭૭ – મ્રુત્યુ : 9 જન્યુઆરી, ૧૯૪૬)
ન્હાનાલાલ જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ ગુજરાતના મહાકવિ કહેવાય છે.
જીવન - Life
તેમનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. એમની મૂળ અટક ત્રિવેદી હતી. ૧૮૯૩માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને આગળ અભ્યાસ અમદાવાદની ગુજરાત કોલેજ, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન કોલેજમાં કર્યો. ૧૮૯૯માં તેમણે તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસના વિષય સાથે એમ.એ. થયા. તેઓ ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા.
એમ.એ. થયા પછી તેઓ ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કૉટ કૉલેજમાં અને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપક રહ્યા. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયધીશ અને નાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી ગાંધીજીને અર્પણ કરી હતી. ૧૯૨૦માં લાંબી રજા પર ઉતરીને ૧૯૨૧માં તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું અને સાહિત્ય સર્જનમાં બાકીનું જીવન પસાર કર્યું.
તેમનું અવસાન જાન્યુઆરી ૯, ૧૯૪૬ના દિને અમદાવાદ ખાતે થયું હતું.
સર્જન
કવિતા – ‘કેટલાંક કાવ્યો’-ભા. ૧-૨-૩ (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫), ‘ન્હાના ન્હાના રાસ’-ભા.૧-૨-૩ (૧૯૧૦, ૧૯૨૮, ૧૯૩૭), ‘ગીતમંજરી’-૧-૨ (૧૯૨૮, ૧૯૫૬), ‘રાજસૂત્રોની કાવ્યત્રિપુટી’ (૧૯૦૩, ૧૯૦૫, ૧૯૧૧), ‘ચિત્રદર્શનો’ (૧૯૨૧), ‘પ્રેમભક્તિ ભજનાવલિ’ (૧૯૨૪), ‘દાંપત્યસ્તોત્રો’ (૧૯૩૧), ‘બાળકાવ્યો’ (૧૯૩૧), ‘મહેરામણનાં મોતી’ (૧૯૩૯), ‘સોહાગણ’ (૧૯૪૦), ‘પાનેતર’ (૧૯૪૧), ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ’ (૧૯૪૩)
નાટ્ય કવિતા – ‘ઇન્દુકુમાર’-૧-૨-૩ (૧૯૦૯, ૧૯૨૭, ૧૯૩૨), ‘પ્રેમકુંજ’ (૧૯૨૨), ‘ગોપિકા’ (૧૯૩૫), ‘પુણ્યકંથા’ (૧૯૩૭), ‘જગત્પ્રેરણા’ (૧૯૪૩), ‘અજિત અને અજિતા’ (૧૯૫૨), ‘અમરવેલ’ (૧૯૫૪), ‘જયા-જયન્ત’ (૧૯૧૪), ‘વિશ્વગીતા’ (૧૯૨૭), ‘રાજર્ષિ ભરત’ (૧૯૨૨), ‘જહાંગીર-નૂરજહાંન’ (૧૯૨૮), ‘શાહનશાહ અકબરશાહ’ (૧૯૩૦), ‘સંઘમિત્રા’ (૧૯૩૧) ‘શ્રીહર્ષદેવ’ (૧૯૫૨)
ચરિત્ર- કવિશ્વર દલપતરામ
અન્ય – વસંતોત્સવ (૧૯૯૮, ૧૯૦૫), હરિસંહિતા મહાકાવ્ય, સાહિત્યમંથન, કુરુક્ષેત્ર
સન્માન
માર્ચ ૧૬, ૧૯૭૮ના દિવસે ભારતીય ટપાલ ખાતા દ્વારા એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો